આવો આજે મુલાકાત કરીએ, અમારા સ્ટોરીમિરરના સન્માનિત નવોદિત લેખિકા શ્રી તન્વી ટંડેલ સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ :
આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)
ટંડેલ તન્વી કિશોરભાઈ.
મારી દરેક રચનાઓ હું મારા નામ સાથે જ પ્રકાશિત કરું છું પણ 'તમન્ના ' ઉપનામ ગમે એટલે કાવ્યમાં કોઈકવાર ઉપયોગ કરું છું
મૂળ વતન નવસારી હાલ સ્થાયી આણંદ શહેર.
આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)
નવસારી શહેરની સંસ્કાર ભારતી શાળામાંથી ૧થી૧૨ અભ્યાસ કર્યો. પીટીસી નો અભ્યાસ વનિતા વિશ્રામ ટ્રેનિંગ કોલેજ સુરત કર્યા બાદ તરત નોકરી મળી તેથી વધુ અભ્યાસ અધૂરો મૂકી સરકારી નોકરી સ્વીકારી લીધી. એક્ષ્ટ્રનલ વિદ્યાર્થી તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંઅંગ્રેજી વિષય સાથે સ્નાતક થઈ અને ત્યારબાદ સરદાર પટેલ આણંદ કોલેજ થી અનુસ્નાતક અંગ્રેજી સાથે પૂર્ણ કર્યું.
અભ્યાસ:પીટીસી, બી. એ., એમ.એ( અંગ્રેજી )
વ્યવસાયે પ્રાથમિક શિક્ષિકા છું. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના એક સુંદર અંતરિયાળ, કુદરત ના સાનિધ્યમાં આવેલા નારધા ગામ માં ફરજ બજાવું છું.
આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું ? આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?
મારા પપ્પા સાહિત્ય સાથે સંકળાયેલા છે. તેઓ અવારનવાર સમાચારપત્રો, સામયિકો, પૂર્તિઓમાં ચર્ચા પત્રો, હાયકુ, લેખો લખે છે. હું સમજતી થઈ ત્યારથી બસ તેમને પુસ્તકો સાથે જ જોવ. અમારા શહેરમાં પુસ્તક મેળો હોય કે ગુજરાતી નાટકો, કે સાહિત્યનો કાર્યક્રમ પપ્પાની હું કાયમી પાર્ટનર.સાહિત્ય પરિષદમાં પણ નાની હતી ત્યારથી પપ્પા સાથે જતી ત્યાં રઘુવીર ચૌધરી, ભગવતીકુમાર શર્મા, વર્ષા અડાલજા, યામિની વ્યાસ અને બીજા કેટલા બધા ને મળેલી ત્યારથીજ સાહિત્યના પ્રેમ માં. શાળામાં પણ વકતૃત્વ સ્પર્ધામાં , નિબંધ સ્પર્ધામાં હમેંશ ભાગ લેતી ને પ્રથમ આવતી ,પછી પીટીસી મા લેખનનો શોખ વધુ ફૂલ્યો -ફાલ્યો. ત્યાં કાર્યક્રમોનું સંચાલન કરતા કરતા વધુ કાવ્યો, પંક્તિઓ લખતી થઇ.. શિક્ષિકા બન્યા બાદ તાલીમમાં તેમજ શાળા કક્ષાએ લખવાની તક મળતી ગઇ. વિષ્યોનુ વૈવિધ્ય પણ મળતું ગયું. લેખન - વાંચનના શોખ ને લીધે વાર્તાઓ પણ લખતી થઈ. હાઈકુ તો વારસાગત હતાં જ. હાથમાં 4g ફોન આવતા ઓનલાઇન પ્લેટફોર્મ હાથવગું બન્યું. તેથી ઓનલાઈન કૃતિઓ મૂકી રહી છું.
મારે મન શોખ એટલે અંતરના ઊંડાણમાં રહેલી એક ઈચ્છાની પૂર્તિ માટે, પોતાના સ્વાર્થ માટે કરવામાં આવતી મનપસંદ પ્રવૃત્તિ. સમયના અભાવ વચ્ચે પણ થોડો ફુરસદનો સમય શોધી જે કાર્ય કરવાનું વારંવાર મન થાય , તે આપણો પોતાનો શોખ. મારા વાંચન ના શોખને પૂર્ણ કરવા હું રાત હોય કે દિવસ, ગમે ત્યારે, જે મળ્યું એ,,,, લઈ વાચવાને લખવા બેસી જાઉં. પુનરાવર્તન નથી ગમતું રોજ નવીન વાંચવા મળે એ મારો ધ્યેય. આઠમા ધોરણ માં જ ૫૦૦થી વધુ પુસ્તક વાંચી "તરતું પુસ્તક " પ્રોજેક્ટ હેઠળ સયાજી વૈભવ પુસ્તકાલય નવસારીની સ્પર્ધાઓમાં વિજેતા બની હતી ત્યારથી જ વાંચન યાત્રા નિરંતર ચાલુ રહી છે.લેખન ને વાંચન મારે મન જીવન માણવાની એક રીત છે.
સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?
સાહિત્ય સર્જન માં મુશ્કેલી તો બસ એટલી કે વ્યવસાય અનેઘર અને સાહિત્ય પ્રત્યેનો વધુ લગાવ....બધાનો સમનવ્ય અઘરો બની જાય છે. અને તેમાં પણ નોકરીનું સ્થળ ઘણું દૂર હોવાથી સમય વધુ ફાળવી શકાતો નથી. જોબના સ્થળે નેટવર્ક પણ ના હોવાથી કૃતિ લેખ સબમિટ કરવામાં સમય સચવાતો નથી. મારો પુત્ર તન્મય ત્રણ વર્ષનો હોવાથી લેખન માટે સમય કાઢવો અઘરો પડે છે. પરંતુ મારા દરેક સર્જન ને હું મારા પતિ સાથે સારા નરસા પાસાની ચર્ચા કર્યા બાદ જ આગળ મોકલું છું. તે હમેશા મારા પ્રથમ વાચક રહ્યા છે. મારા સાહિત્યો મિત્રો હમેશા મારી રચનાઓને , મારી શૈલીને બિરદાવે છે તેથી લખતી રહી છું.
આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?
પ્રવર્તમાન સાહિત્ય ...આધુનિકતા નો સમન્વય બન્યું છે. દરેક વિષયો, દરેક ભાષા અને સમાજ - જ્ઞાતિના મેળાવડાથી પર.. ટેકનોસેવી બન્યું છે. ખુલ્લે આમ રાજકારણ, પ્રેમ. કે પહેલાના સમયમાં જે વર્જય ગણાતું તેવા દરેક વિષય ના આલેખન સાથેનું, મર્યાદા ઓળંગી છતાં ગમતિલું....લોકોને ગમે એવું છે.
આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથી, શું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?
મને વાંચનની ટેવ એટલે કાગળ પર છપાતું હોય કે ઓનલાઈન બન્ને સાહિત્ય વાંચવું ખુબ ગમે.છતાં ઓનલાઈન સાહિત્ય આપણા ખિસ્સામાં મોબાઈલના માધ્યમ દ્વારા પ્રવેશી ચૂક્યું છે, જે સરળતાથી વાંચી શકાય. ઘણીવાર અમુક પુસ્તકો પુસ્તકાલયમાં પણ અવેલેબલ નથી હોતા જ્યારે ઓનલાઈન 1 જ મિનિટમાં શોધીને આપણી અંગત રુચિ અનુસાર તારવીને વાંચી શકાય છે. આ ઉપરાંત દુનિયાની દરેક ભાષાની ઉત્કૃષ્ટ રચનાઓ મિનિટોમાં મળી જાય છે. Kindle જેવું સાધન હોય તો અંગત પુસ્તકાલય જ હાથમાં. ખરેખર સુવિધાજનક લાગે. જ્યારે દરેક પુસ્તકો ખરીદીને ઘરમાં વસાવી શકતા નથી. તેથી હા સાહિત્યનો એક અવસર કાયમી વસવાટ કરતો થયો હોય એવું ડિજિટલ મીડિયા માટે કહેવાય.
સોશીયલ મીડીયા મારા માટે તો સાચે એક ઉજવણી નો અવસર બન્યો છે કારણ ઘણા મિત્રો , વાચકો જેને રૂબરૂ ક્યારેય મળી નથી પણ હમેશા મારી કૃતિઓ વાંચી એમના અમૂલ્ય પ્રતિભાવ આપતા રહ્યા છે ડિજિટલ માધ્યમ થકી જ. .અને સાથોસાથ ઘણા મોટા લેખક, સાહિત્યકારો જેમને બસ વાંચ્યા હતા એમની સાથે પણ સોશીયલ મીડીયા થકી જોડાઈ શકી છું. એમના પુસ્તકો વાંચીને મેઈલ કરું ને જ્યારે એમનો પ્રતિભાવ આવે ત્યારે થાય કે સાચે જ ડિજિટલ યુગ થકી જ આવું બની શકે. દુનિયાના કોઈ પણ ખૂણે બેસી સાહિત્યની માહિતી તમે પોતાના મોબાઈલમાં મેળવી શકો. મારા જેવા લેખકો સાથે લેખન શૈલી અંગે ચર્ચા વિચારણા માટે મદદરૂપ છે આ દુનિયા.. ખરેખર સાહિત્યકારો માટે પોતાની સર્જનશક્તિ પ્રસારવા ખૂબ સુંદર માધ્યમ હાથવગું છે એટલે નવીન અવસર જ ગણાય.
આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)
સ્ટોરીમિરર , પ્રતિલિપિ અને માતૃભારતી એપ પર મારી વાર્તા અને કાવ્યો પ્રકાશિત કર્યા છે. ત્યાં યોજાતી ઘણી સ્પર્ધાઓમાં વિજેતા બની છું. જીવનશિક્ષણ અને શિક્ષક જ્યોતમાં મારા હાયકુ પ્રકાશિત થયા છે. ઇચ્છિત સાહિત્ય સાહસમાં બસ લખવું છે ઘણું બધું. સાહિત્ય જગતનો ભાગ બનવા માંગુ છું. મે અત્યાર સુધી ૩ લઘુનવલ, ૨૦ ટુંકી વાર્તા, ૨૦૦થી વધુ હાઈકુ અને ૬૦ કાવ્યો લખ્યાં છે. હાલ માઇક્રો ફિક્શન અને ગઝલ વિશે વધુ શીખી રહી છું. હું કોઈપણ સાહિત્ય સંકુલ સાથે સંકળાયેલી નથી. વોટસ એપમાં ગૃપોમાં લખતી રહું છું. FB અને ઇન્સ્ટા પર ઘણા લેખકોને ફોલો કરું છું જેથી નવું શીખવા મળે. ગુજરાતી રસધારા ગ્રુપ સાથે કવિઓના સર્જક ગ્રુપ માં જોડાયેલી છું.
લઘુનવલ - ૧. અસ્તિત્વ ૨. પ્રેમ એટલે? ૩. શ્રદ્ધા
ટૂંકી વાર્તા -
ટિફિન, ભવ્યા,યાદોની મુસાફરી, લક્ષ્મી, ગણેશજીને અનોખી ભેટ, ગુલાબી ગુલદસ્તો, સ્વપ્ન મ્હેલ, અધૂરપ, સૌભાગ્ય, મા- મીઠો શબ્દ, જીવન રીત, વરસાદી પ્રેમ, શુભ મંગલમ્ સાવધાન, વીર પુત્ર , અનોખો સંબંધ, સાચી દિવાળી, ખિસકોલી નો જન્મદિન, બર્થડે ગર્લ, વર્કિંગ વુમન, હમસફર, સંઘર્ષ.
આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.
કવિતા, લેખ, અને હાઈકુ લખું છું એ બધાને ખબર હતી. બધા મિત્રો મને છુપા રુસ્તમ કહેતા. કોઈની વર્ષગાંઠ હોય તો મારી પાસે પંક્તિઓ લખાવા સખીઓ આવતી રોજ સાથે રહેતી સખીઓ સાથે પણ હું પત્રવ્યવહારથી વાતો કરતી.પીટીસીમાં ઘણી મૌલિક સર્જનની તક મળી. છતાં કૃતિઓ ક્યાંય મોકલતી નહોતી. જીવન શિક્ષણ સામયિકમાં મે પ્રથમ વાર હાઈકુ મોકલ્યા હતા વર્ષ ૨૦૧૧માં. અને તે પ્રકાશિત થયેલા ત્યારે ખૂબ આનંદ થયો હતો. ત્યાર પછી શિક્ષણજ્યોત માં પણ મારી કૃતિ પ્રકાશિત થઈ.
સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથી, સ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)
શાળા કક્ષાએ ઘણી સ્પર્ધા માં પુરસ્કાર મળેલા પણ ખાસ પુરસ્કાર ધોરણ બારમાં આખા રાજ્યમાં અંગ્રેજી વિષય માં સૌથી વધુ ગુણ સાથે ઉત્તીર્ણ થવા બદલ વી.સી.ખત્રી પારિતોષિક મળેલું. નરેન્દ્ર મોદીજીના હસ્તે કન્યા કેળવણી નિધિમાં ૫૦૦૦નું ઈનામ પહેલું અને યાદગાર ઈનામ હતું. કોલેજ સ્પર્ધામાં ગાંધીજી રિટર્ન નાટક સ્વલિખિતમાં જાતે ગાંધી બનીને ઈનામ મેળવેલું એ પણ ખાસ હતું.
સ્ટોરીમીરરમાં દિવાળી વાર્તા સ્પર્ધામાં વિજેતા બની હતી. અને ઓથર ઓફ ધ યરમાં નોમીની થઈ હતી માતૃભારતીમાં બાઇટ્સ સ્પર્ધામાં ચાર વાર વિજેતા થઈ હતી.
નવોદિત લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો ?
ગાંધીજી એ કહેલું,. ." A Man is product of his thoughts, what he thinks ..that he becomes."
નવોદિત લેખકો માટે બસ ....વિચારોને પ્રગટ કરતા રહો, જીવનમાં નિતાંત આનંદની ક્ષણો ઉમેરાતી રહેશે. સર્જન થશે પણ તે માટે જરૂરી છે વાંચન. નિરંતર વાંચો નવું શીખો, અને પછી જે અનુભવો એ લખો. બીજા માટે નહિ પોતાના માટે લખો.
સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?
સ્ટોરી મીરર ની વાત કરું તો એક વાચક તરીકે રોજ અહી નવું વાંચવા મળે છે સાથોસાથ લેખન માટે પણ અહી નીતત નવી સ્પર્ધાઓ યોજાઇ છે તેથી લેખન માટે પ્રોત્સાહન તો મળે જ. તમને ગમતી ભાષા માં અહી ખેડાણ કરી શકો છો. ખૂબ મોટો વાચક વર્ગ હોવાથી તમારી કૃતિ અંગે પ્રતિભાવો મળે છે એ જોઈ ચોક્કસ પણે વધુ લખવાનો મોહ જાગે. મારા માટે story mirror એક એપ નહિ પરિવાર છે. ઘણા મિત્રો અહી મળ્યા છે જે સાહિત્ય યાત્રામાં માર્ગદર્શન આપતા રહે છે.
સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?
સ્ટોરી મીરર ટીમ ની હમેશ આભારી રહીશ.. લેખન કલાને જીવંત રાખવાનો પ્રયાસ કરી સૌને પ્રોત્સાહન આપી ખરેખર ઉમદા કાર્ય કરી રહ્યા છો. સમયે સમયે ખરેખર કઈક અલગ રૂપ ધારણ કરી નવી સ્પર્ધાઓ યોજવામાં હમેશ અગ્રેસર રહે છે.
Again thanks to story mirror !
તો મિત્રો આ હતી એક મુલાકાત તન્વી ટંડેલ સાથેસાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.