આવો આજે મુલાકાત કરીએ, અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખિકા મેધા અંતાણી સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ :
આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)
મેધા દિપક અંતાણી
મૂળ વતન રાજકોટ,પણહાલમાં મુંબઈ સ્થાયી.
ટીવી એન્કર સોહમ ચેનલ, સ્ટેજ કોન્સેપ્ટ શોઝ એન્કર, વોઈસ આર્ટીસ્ટ.
ભૂતપૂર્વ પ્રાથમિક શિક્ષિકા, સંત કબીર સ્કૂલ,અમદાવાદ(.અંગ્રેજી માધ્યમ)
પતિ-- ડો. દિપક અંતાણી.. એનેસ્થેટીસ્ટ, કોકિલાબેન અંબાણી હોસ્પિટલ, મુંબઈ
આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)
પ્રાથમિક શિક્ષણ રાજકોટની સિસ્ટર નિવેદિતા શાળા ,ગુજરાતી માધ્યમથી લીધેલ,જ્યા લેખન,વક્તૃત્વ,ઈત્તરપ્રવૃતિ,ભાર વિનાના ભણતરમાં શાળાના આચાર્ય તેમજ સંચાલક શ્રી ગુલાબભાઈ જાની, શ્રીમતી ઊષાબેન જાની તથા શિક્ષકોનો બહુ જ મોટો ફાળો રહ્યો.શાળાની મુલાકાતે મૂર્ધન્ય સાહિત્યકારો જેવા કે શ્સરી ઊશનસ,શ્રી ઊમાશંકર જોષી,શ્રી રવિશંકર મહારાજ,શ્રી હરિશ નાયક,સ્વામી વ્યોમાનંદજી,મધર ટેરેસા,ફિલ્ડ માર્શલ જનરલ માણેક શા, જેવી વિભૂતિઓ માટે કાર્યક્રમ સંચાલન કરવાની ,એમને રૂબરૂ સાંભળવાની તકો મળી. સારા સારા પુસ્તકોનું પઠન શિક્ષકો દ્વારા થતું,પિતા કોલેજ લાઈબ્રેરીમાંથી ખજાનાઓ લઈ આવતા,જે એક બેઠકે પૂરા થઈ જતા !. એમાંથી વાંચનની આદત,લતમાં પરિણમી.
કોલેજ શિક્ષણ બી.એસ.સી. કેમીસ્ટ્રી માતુશ્રી વિરબાઈમા મહિલા કોલેજ,રાજકોટથી લીધું.માતા આર્ટ્સમાં લેક્ચરર તથા નિબંધકાર, અને પિતા બોટનીમાં હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ હોવાથી ઘરમાં સાહિત્ય,વાંચન,વિજ્ઞાનનો જ માહોલ રહેતો.
ત્યાર બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી એમ.એસ.સી ઓર્ગેનિક કેમિસ્ટ્રી ની પદવી હાંસિલ કરી ત્યાર પછી બી.એડ. ની ઉપાધિ મેળવી.
આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું ? આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?
શાળાએ ઈતરલેખન,ઈતરવાંચન ક્ષેત્રે નવી ક્ષિતિજો ભળાવી,અને માતા લેક્ચરર , બહુ જ સારા નિબંધકાર,આકાશવાણી માં વાર્તાલાપકાર,વક્તા,અને પિતા બોટની ના લેક્ચરર,સિતારવાદક ,એટલે ઘરમાં પણ વાતાવરણ સંગીત,સાહિત્ય,જ્ઞાન,વિજ્ઞાનનું જ રહેતું.
પણ વધુ વેગ મળ્યો હોય,તો એ અનાયાસ ગઝલો વાંચતાં વાંચતાં, તેના વિશે જાણવાની ઊત્કંઠા અને પછી એમા વધુ ઊંડાણથી બંધારણ વગેરેનો અભ્યાસ કરતાં કરતાં, સાહિત્ય અને એના અવનવા પ્રકારો તરફ સામીપ્ય સધાયું.વ્યવસાયે ટી વી એન્કર તથા સ્ટેજ એન્કર હોવાથી હિન્દી,ઉર્દૂ, તથા ગુજરાતી સાહિત્ય તેમ જ ભાષાઓ પર મહારથ હાંસિલ કરવી જ રહી,,એ પણ સાહિત્ય લખવા માટે એક કારણ બની રહ્યું.
સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?
નવોદિતો હોય,એમને પહેલાં તો સાહિત્યનાં પ્રકારો સમજવા પડે,એના બંધારણો વગેરે પિછાણવા પડે,ઈસ્લા માટે કોઈ સુજ્ઞ સાહિત્યકાર કવિનું માર્ગદર્શન જોઈએ.ઈશ્વરકૃપાએ જ્યારે જ્યારે જરૂર પડી,આત્મવિશ્વાસ વધારવા અનેક સાહિત્યકારો,કવિઓએ શીખવાડ્યું છે,પ્રેમથી ભૂલો બતાવી આગળ વધવા માટે પ્રેરણા આપી છે.
આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?
આજે અઢળક, અનોખું ,અવનવું સાહિત્ય લખાઈ અને વંચાઈ પણ રહ્યું છે.ગુણવત્તાતો પછીની વાત છે,પણ સારી વાત એ છે કે ગુજરાતી ભાષાનુ અસ્તિત્વ ટકી રહેશે,વ્યાપ વધશે એમા ના નહીં.સાહિત્ય ને લગતા કાર્યક્રમો પણ મોટા ફલક પર ,ગ્લોરિફાઈડ રીતે થવા લાગ્યા છે,જેથી તે સામાન્યજન સુધી પણ પહોચી શકે અને રસ, નિરસ ન રહેતાં સરસ બની રહેશે તે નિ:શંક છે.
આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથી, શું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?
સો ટકા સહમત.સોશિયલ મિડિયા,ડીજિટલ મિડિયા થકી કંઈ કેટલાય લોકોની સુષુપ્ત પ્રતિભાઓ ઉજાગર થઈ છે.અબાલવૃધ્ધકોઈપણ,આજે ખુદ નેવ્યક્ત કરી શકે છે. જેને ભાષા, વ્યાકરણ,જોડણી વગેરેની તકલીફ હોય એમને ઓનલાઈન માર્ગદર્શન પણ મળી રહે છે,જેને લીધે સાચું, સારું લખવું હોય તો લખી જ શકાય છે.લખવા કે ટાઈપ કરવામાં ફાવટ ન હોય તો ટેક્સ્ટ ટુ સ્પિચ જેવી સગવડથી આખેઆખી નવલકથા ઓછા સમયમાં લખી શકાય છે.જેમની પુસ્તકો પબ્લીશ કરવાની આર્થિક ક્ષમતા ન હોય એવા લેખકો, કવિઓ ઈ-પુસ્તક થકી લોકો સુધી પહોંચી શકે છે એ શું કમ સિધ્ધિ છે?
આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)
મને ગુજરાતી તથા હિન્દીમાં ગઝલો લખવી ગમે છે અને ટૂંકી વારતાઓ પણ.પુસ્તકો હજુ પ્રસિધ્ધ થવા સુધી હું પહોંચી નથી,પણ ભવિષ્યમાં ઈચ્છા ખરી.
આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.
સાનંદે કહીશ,મારી પ્રથમ વાર્તા "વેલ ઈન ટાઈમ" સ્ટોરીમિરરમાં પ્રકાશિત થયેલી.અને એ લિંક સહુ સાથે શેર કરી ત્યારે એવું લાગ્યું જાણે મારું પુસ્તક સહુને સ્નેહાર્પણ કરતી હોઉં.!!!..
હા,એ પહેલાં શાળાકાળ દરમ્યાન લખેલ એક બાળકાવ્ય રાજકોટના અખબારોમાં પ્રસિધ્ધ થયેલું.
સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથી, સ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)
સ્ટોરીમિરર સ્પર્ધા માં મારું કાવ્ય "દંગલાષ્ટક મંગલાષ્ટક" પ્રથમ સ્થાને રહ્યું,એ ઊપરાંત "યંગસ્ટાર્સ ક્લબ" વારતા હાલમાં ટોપ ટ્રેંડીંગ છે,એ જ મોટો પુરસ્કાર.આ સાથે મારી હિન્દી વાર્તા, ગઝલોને પણ સ્ટોરીમિરર પર સારો આવકાર મળી રહ્યો છે.વાંચકો વધાવે,એમાં જ મારો રાજીપો.
તે ઊપરાંત નાનામોટા મેગેઝીનો માટે લખેલ લઘુવાર્તા,કાવ્યોને પુરસ્કાર મળેલ છે.
નવોદિત લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો ?
સારું વાંચવું અને ,સંવેદશીલ અવલોકન કરતા રહેવું.લખવા ખાતર ન લખવું.મનથી ઊગે,ત્યારે જ લખવું.
સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?
સ્ટોરીમિરર થકી જ મેં કલમનો હાથ ઝાલ્યો એમ કહું તો જરાપણ અતિશયોક્તિ નથી. ટીમનું માર્ગદર્શન,જાતજાતની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે સતત પ્રેરણા ને લીધે મારા જેવા આળસુ પીર પોતાની પ્રતિભાને ધાર કાઢવા દોડતા થાય એ સ્ટોરીમિરર માટે નાનીસૂની વાત થોડી છે?
મારો વ્યવસાય પણ મને સતત વ્યસ્ત રાખે છે,સ્ટેજ શોઝ અને ટીવી શૂટીંગ,ટ્રાવેલિંગના દબાણ છતાં સ્ટોરીમિરર એક એવું બળ છે જે લખવા માટે એકમાત્ર કારણ અને વ્યવસાયિક થાકોડો ઉતારવાનો વિસામો પણ.વાંચકોનો પ્રતિભાવ પણ તરત જાણવા મળે છે,જેથી નવું લખવાની દિશા પણ મળતી રહે છે.
સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?
સ્ટોરીમિરર "મણિબેન" ને પણ ઘેર બેઠાં "મહાશ્વેતાદેવી" થવાની તક પૂરી પાડતું રહે, કલમની જ્યોત અખંડ જગાવતું રહે,સહુને વ્યક્ત થવાની સમાન તકો આપતું રહે એવી શુભેચ્છા.શક્ય હોય તો શહેર શહેર માં લાઈવ ઈવેન્ટ જેવું રાખી શકાય ,જે થીલેખક સ્વયં પોતાનું સ્ટોરીમિરર લેખન પોતાના સ્વરમાં લોકો સુધી પહોંચાડી શકે,ભાવકો સાથે સંવાદ સાધી શકે અને સ્ટોરીમિરરનો વ્યાપ પણ છે,એથી યે વધુ વધી શકે.
તો મિત્રો આ હતી એક મુલાકાત લેખક શ્રી મેધા અંતાણી સાથે સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.