આવો આજે મુલાકાત કરીએ, અમારા સ્ટોરીમિરરના નવોદિત લેખિકા શ્રી નિરાલી જારસાણિયા સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ :
આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)
નિરાલી દિનેશભાઇ જારસાણિયા
(વતન- જૂનાગઢ, હાલ- રાજકોટ)
આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)
મેં પ્રાથમિક શિક્ષણ અનેક શાળા બદલી બદલીને મેળવેલ છે. મારા પપ્પાના ધંધાની તેજી-મંદીને કારણે અમે ઘણા શહેરો ફરી વળ્યાં છીએ. માટે શાળાના નામ લખવા શક્ય નથી. હા, છેલ્લે એમ.કોમ.- ડિપાર્ટમેન્ટ ઑફ કોમર્સ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાંથી કરેલ છે.
આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું ? આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?
સાહિત્ય સાથે જોડાણ માટે હું મારા ખાસ મિત્ર કિશન બદિયાણીની આભારી છું. તેમના થકી જ હું સાહિત્ય જગતમાં પ્રવેશી શકી છું.
સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?
સાહિત્ય જગતમાં હજુ તો પા પા પગલી જ માંડું છું. છતાં, ક્યારેક કવિતા/લખાણ ચોરાયાના અનેક બનાવોનો શિકાર બની છું.
આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?
સાહિત્ય હંમેશા રસપ્રદ જ લાગ્યું છે. પછી એ જૂનું હોય કે નવું! તેમાં લેખકની વિચારસરણી, અનુભવોનો નિચોડ, કોઈક પ્રત્યે અનુભવેલો પ્રેમ, ગુસ્સો, કૂણી લાગણી વગેરેનું સંમિશ્રણ હોય છે. દરેકને પોતાની આગવી શૈલી હોય છે.
આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથી, શું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?
હા, મારા જેવા નવા નિશાળિયાઓ માટે સોશિયલ મીડિયાએ જ સૌથી અગત્યનો ભાગ ભજવ્યો છે. એ વગર કદાચ હું આ સિદ્ધિ પણ ન જ મેળવી શકત.
આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)
હું મોટા ભાગે કવિતા જ લખવા પ્રેરાયેલી છું. જે અનુભવું છું, એને શબ્દોથી વ્યક્ત કરતી રહું છું.
મારી રચનાઓ મુખ્યત્વે સ્ટોરીમિરર પર જ પ્રકાશિત કરું છું.
આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.
મારી પ્રથમ રચના મેં એક યુવાન છોકરીના મનમાં જે સ્વપ્ન હોય તે વ્યક્ત કરતી કવિતા લખી હતી.. "સપનાની વાત..!" જે આજે સ્ટોરીમિરર અને પ્રતિલિપિ પર ઉપલબ્ધ છે.
સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથી, સ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)
હજુ તો સાહિત્ય જગતમાં પ્રવેશ જ કર્યો હોવાથી અન્ય કોઈ પુરસ્કાર મળ્યા નથી.
જેના માટે હું ઇન્ટરવ્યૂના જવાબો લખું છું, એ જ મારો પ્રથમ પુરસ્કાર છે. થેન્કયુ સો મચ!
નવોદિત લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો ?
નવોદિત લેખકોને આમ તો મારે કંઈ કહેવું ન જોઈએ. કારણ કે, હું ખૂદ એક નવોદિત લેખકમાં આવું છું. ફક્ત એટલું જ કહીશ કે, જે દિલમાં છે એ લખતા શીખો. લોકો જરૂર વાંચશે.
સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?
સ્ટોરીમિરર પર કવિતાઓ શૅર કરવા માટે તો હું કોમ્પિટિશનની રાહ જોતી હોઉં છું. મારા દિલની વાત લોકો સુધી પહોંચાડવા માટેનો આ ઉત્તમ માર્ગ છે.
સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?
મારા શબ્દોને હજારો લોકો સુધી પહોંચાડવા માટે સ્ટોરીમિરરનો જેટલો આભાર માનું એટલો ઓછો છે! મારા જેવા નવોદિતો માટે આ બહુ જ અગત્યનું પ્લેટફોર્મ છે.
તો મિત્રો આ હતી એક મુલાકાત લેખિકા શ્રી નિરાલી જારસાણિયા સાથે સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.
.