આવો આજે મુલાકાત કરીએ, અમારા સ્ટોરીમિરરના લેખક/કવિ શ્રી અર્જુન ગઢીયા સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ :
આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)
મારૂ નામ અર્જુન સૂર્યકાંતભાઈ ગઢિયા છે અને હાલ જન્મભૂમિ અમરેલીમાં રહુ છું. મે કોઈ ઉપનામ તો નથી રાખ્યું પરંતુ મિત્રો તરફથી અને વાંચકો તરફથી 'સાહેબ' તથા 'કવિરાજ' જેવા નામો મળ્યા છે.
આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)
મે પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ અહિં અમરેલીમાં જ પ્રજ્ઞા પ્રાથમિક વિદ્યાલયમાં પુરા કર્યા છે અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અમરેલીમાં જ પાઠક સ્કૂલમાં લીધુ છે. વર્તમાનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં એક્સટર્નલ કોર્ષમાં બી.એ.માં અભ્યાસ કરી રહ્યો છું.
આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું ? આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?
આમ તો નાનપણથી ખબર નહિ ક્યાંથી પરંતુ કવિતાઓ લખવાનો શોખ હતો અને સાથે વાંચન તો ખરૂ જ મારા વાંચન અને લેખનના મુખ્ય વિષયો ઈતિહાસ અને દેશ ભક્તિ જ રહેતા. પરંતુ ત્યારબાદ તે થોડાં કારણોસર બંધ થઈ ગયુ પણ હા ક્યારેક છૂટી છવાઈ પંક્તિઓ લખાતી રહેતી. પરંતુ થોડા વર્ષ પહેલા ઉરી ખાતે આતંકી હુમલો થયો અને સૈનિકો શહિદ થયા ત્યારે એ જોઈ ફરી ઓચિંતી જ કવિતા ધણા વર્ષો બાદ લખાઈ અને આ કવિતા બાદ મિત્રો દ્વારા કવિતાઓનો આગ્રહ થતો રહ્યો. આથી સર્જીકલ સ્ટ્રાઇક જેવી ઘટનાઓ બાદ લખવાની પ્રેરણા મળતી રહી અને આમ ફરી ધીમે ધીમે લખવાની શરૂઆત થઈ. પછી ધીમે ધીમે લેખો લખાતા રહ્યા અને વાંચક મિત્રો તરફથી મળતા પ્રતિભાવો ઉર્જા વધારતા રહ્યા અને લેખન કાર્ય વધતું રહ્યુ પરંતુ ત્યારે તે ઈતિહાસ પર જ આધારિત હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી સંગીતની સોબત થઈ અને એ કારણે ભજનો લખવાની શરૂઆત કરી અને તેમને મળતા આવકારના કારણે હવે નિયમિત રીતે નવી કવિતાઓ અને લેખો લખતો રહું છુ. સાથે જ પ્રતિલિપિ અને સ્ટોરી મીરર જેવી એપ્લિકેશન પર મળેલ પ્લેટફોર્મનું પણ વિશેષ યોગદાન રહ્યુ છે અને મારી આ યાત્રા ફરી શરૂ થઈ તેમાં બે લોકોનું વિશેષ યોગદાન રહ્યું છે એક તો મારા પરમ મિત્ર કૌશલ દવે અને બીજા મારા શિક્ષક મયુર સાહેબ જોષી કે જેના તરફથી મળતા પ્રતિભાવો અને "તું કાવ્ય સંગ્રહ ક્યારે બહાર પાડે છે ?" પ્રશ્નોએ મને નિરંતર ઉર્જા અને પ્રેરણા પૂરી પાડી છે.
સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?
સાહિત્ય સબંધિત આમ તો કોઈ મુશ્કેલીઓ પડી નથી, હા હૃદયની ઉર્મિઓને છંદ બંધારણમાં કેદ નથી કરી શકતો.
આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?
આજના સાહિત્યના કેન્દ્રમાં મોટાભાગે પ્રેમ જ જોવા મળે છે.
આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથી, શું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?
મારી જ વાત કરૂ તો સોશિયલ મીડિયાએ મને લોકો સુધી પહોંચાડવામાં સિંહ ફાળો આપ્યો છે અને મારી જેવા અનેક લોકો માટે સોશિયલ મીડિયા એક આશીર્વાદ સમાન છે.
આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)
મારી રચનાઓની વાત મે અગાઉ કરી એમ મોટા ભાગે ઈતિહાસ પર જ આધારિત હોય છે અને સંગીતની સોબત થવાથી ભજનો લખવાની શરૂઆત કરી છે. મારૂ કોઈ પુસ્તક પ્રકાશિત થયુ નથી પણ હા સોશિયલ મીડિયા પર પ્રકાશિત થયેલ મારી "ઉદયથી અંત સુધી" કોલમનો સંગ્રહ કરતી ઈ-બુક પ્રકાશિત કરી છે.
આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.
મારી પ્રથમ રચના લગભગ હું ચોથા કે પાંચમા ધોરણમાં હતો ત્યારે મે લખેલી અને તે ફક્ત મિત્રો વચ્ચે જ પ્રકાશિત થઈ શકી હતી.
સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મલય છે અને કોના તરફથી, સ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)
વાંચક મિત્રો તરફથી મળતો પ્રેમ જ મારૂ સૌથી મોટું સન્માન છે.
નવોદિત લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો ?
હું પણ તેમની વચ્ચેથી જ આવનાર છું એટલે માત્ર એટલું જ કહીશ કે, લખતા રહો અને આગળ વધતા રહો.
સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?
ખુબ જ સારો, ૧૦ માંથી પુરા ૧૦ માર્કસ આપી શકાય એવો.
સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?
સ્ટોરી મીરર નવોદિત લેખકો અને કવિઓ માટે આશીર્વાદ બન્યું છે અને સાહિત્યની ખૂબ મોટી સેવા કરી રહ્યું છે, આશા રાખું કે આ યાત્રા સાથે અનેક લોકો જોડાઈ અને સ્ટોરી મીરર આગળ વધતું રહે.
તો મિત્રો આ હતી એક મુલાકાત લેખક અને કવિ શ્રી અર્જુન ગઢીયા સાથે સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.