આવો આજે મુલાકાત કરીએ, અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખક શ્રી મેહબુબ સોનાલિયા સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ :
આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)
હું મહેબુબ સોનાલિયા,
ભાવનગર જિલ્લાના શિહોર ગામનો રહીશ છું.
મહેબુબ તખલ્લુસથી જ લખું છું.
આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)
મેં પ્રાથમિક માધ્યમિક અને સ્નાતક સુધીની જ્ઞાન પ્રાપ્તી શિહોરમા રહીને કરી. અનુસ્નાતક માટે મહારાજા કૃષ્ણ કુમારસિંહજી યુનિવર્સિટીમાંથી વાણિજ્યમાં પદવી પ્રાપ્ત કરી.
ઇન્સ્યુરેન્સની ઉચ્ચ પદવી ફેલ્લોશીપ ઇન્સ્યુરેન્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા, મુંબઈ ખાતેથી પ્રાપ્ત કરી છે.
આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું ? આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?
ડોક્ટરોએ મને 85% વિકલાંગતાનું સર્ટી આપ્યું છે ત્યારથી મેં સ્વયંને 100% આત્મનિર્ભર કરવા પ્રયત્ન કર્યો છે. 11 વર્ષની ઉંમરે જ્યારે મારી પાસે ઘરની ચાર દીવાલોને એકીટશે જોવા સિવાય કશું કામ નહોતું ત્યારે મારુ મન દુનિયામાં ચોમેર ભાટકતું અને એ સમયે મને મદદગાર થયી મારી કવિતા.
સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?
ખરેખર કહું તો મને સાહિત્ય સર્જનમાં ક્યારેય મુશ્કેલી નથી પડી. મને જ્યારે જે શીખવું હતું તે અનાયાસે મને કોઈએ શીખવી દીધું. થોડું હું જાતે શીખ્યો. જોત જોતામાં મને 14 ભાષાઓ આવડી ગઈ અને તે પણ ક્યાંય શીખ્યા વગર!
આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?
આજનું સાહિત્ય ખરેખર તેની પરાકાષ્ટા પર છે. આજે સમાજના નાનામાં નાની બાબત પર લેખકો લખે છે તે સારી બાબત છે.
આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથી, શું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?
ચોક્કસ, ડીજીટલ તેમજ સોશિયલ મીડિયા એ આજના સમય માટે સ્થાપિત તેમજ નવોદિત બંન્ને લોકો માટે વરદાન રૂપ છે. લોકો સુધી સારી વાત જંગલની આગ માફક ફેલે છે. તેનો સદઉપયોગ થાય તે બહુ જરૂરી છે. તે સિવાય આજે સાહિત્ય કોઈ ગ્રુપ, કે કોઈ એક પક્ષનું ગુલામ નથી . કોઈ સાવ નવોદિતની સારી વાતને લોક ચાહના મળી રહે છે તે ખુશીની વાત છે.
આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)
આમ તો મારી સર્જન સાધનાને 20 વર્ષ પૂર્ણ થવા આવ્યા. મેં લગભગ દેશી વિદેશ સાહિત્યના તમામ પ્રકાર મા કામ કર્યું છે. 400 જેટલી ગઝલો, 4 નોવેલ અને ઘણી વાર્તાઓ લખીને હું મારી સાધના એક સુખદ આનંદ પામું છું. :અભાવ બોલે છે' નામનો એક ગઝલ સંગ્રહ કિન્ડલ પર પ્રસ્તુત છે તે સિવાય એક ઉર્દુ અને એક ગુજરાતી ગઝલ સંગ્રહ ટૂંક સમયમાં આપની સમક્ષ રજુ કરીશું.
આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.
લગભગ 17 - 18 વર્ષે મારી પ્રથમ રચના એક લોકલ ન્યૂઝપેપરમા છપાઈ હતી. તે એક ધાર્મિક તથ્યો અને ભ્રમણા પર આધારીત લેખ હતો. ત્યારે મારી ઉંમર લગભગ 13 વર્ષની હતી.
સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથી, સ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)
મોરારીબાપુએ મને સાલ ઓઢાડીને આશિષ આપ્યા તે મારા માટે સૌથી મોટું સન્માન છે. બાકી અત્યાર સુધીમાં જે કૈં આર્થિક પુરુસ્કાર મળ્યા છે. તેને મેં કોઈને કોઈ સદમાર્ગે વાપર્યા છે. મારી ઈચ્છા એવી છે કે જો મારા લખાણથી કોઈ અર્થ ઉપાર્જન થાય તે હું તે બધું આ દેશના હિતાર્થે વાપરું.સ્ટોરી મીરર દ્વારા 2018 માં મને ઓથર ઓફ ધી યર માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો.
નવોદિત લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો ?
નવોદિત લેખકોને એટલું જ કહેવું છે કે
"કોઈને ગમે એવું લખવાથી બહેતર છે કોઈને ઉપયોગી થાય તેવું લખો."
સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?
સ્ટોરી મીરર એક કમાલનું પ્લેટફોર્મ છે. જ્યાં સ્થાપિત તથા નવોદિત બંન્ને લોકોને ન્યાય અને સન્માન મળે છે.
મારો સ્ટોરી મીરર સાથે ઘણો જૂનો સુખદ નાતો છે.
સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?
બસ આજ રીતે સમાજ અને સાહિત્યની સેવા કરતા રહો અને હા કોમ્પીટીશનમાં વોટિંગ સિસ્ટમ ન રાખો તો વધુ સારું. એમાં જેનું નેટવર્ક મોટું તે જીતે છે. બાકી સ્ટોરી મીરર એક બહું સર કાર્ય કરે છે તે બદલ તેને શુભેચ્છાઓ.
તો મિત્રો આ હતી એક મુલાકાત લેખક શ્રી મેહબુબ સોનાલિયા સાથે સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.