આવો આજે મુલાકાત કરીએ, અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખિકા અને ઓથર ઓફ યીઅરના વિજેતા શ્રી મિત્તલ પુરોહિત સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ :
આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)
મિત્તલબેન વસંતલાલ પુરોહિત
મિત્તલબેન નીરવકુમાર ઉપાધ્યાય.
વતન- મુ.પો.ઓચ્છણ,તા-વાગરા,જી-ભરુચ.
એક ખેડૂત પરિવાર માં 27/2/1983માં જન્મ. હાલ સાસરી ડાકોર પાસે સેવાલિયા, તા-ગળતેશ્વર, જી-ખેડા.
આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)
પ્રાથમિક શિક્ષણ-ગામની જ સરકારી શાળામાં.
માધ્યમિક શિક્ષણ- ત્યાંથી 3 કી.મી. દૂર 'પહાજ હાઈસ્કૂલ 'માં.
ઉચ્ચતર શિક્ષણ-ત્યાથી 9 કી.મી.' શ્રીમતિ એમ.એમ.પટેલ 'હાઈસ્કુલમાં કોમર્સ વિષયો સાથે.
કૉલેજ માટે મામાને ત્યાં ' એમ.એમ.ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ' કાલોલ જી-પંચમહાલમાં આર્ટસ સંસ્કૃત -ગુજરાતી વિષય સાથે.
બી.એડ-- ફોઈ ને ત્યાં ' શ્રી આર.પી.અનડા' બોરસદ 2006 માં.
એમ.એ- ગુજરાત યુનિવર્સિટીમાં 2011
હાલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ઈન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવુ છું.
આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું ? આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?
ધો-12માં હતી અને જ્યારે 26 જાન્યુઆરીના રોજ સવારે મારા જીવનમાં પહેલી વખત કુદરતી આફત એવા ભૂકંપનો ભયાનક અનુભવ થયો, ત્યારે મારી અંદર રહેલા એક સાહિત્ય પ્રેમી આત્માનો અવાજ આવ્યો. હસવું આવશે. પણ સત્ય છે, મને વિચાર આવ્યો કે 'જો આ ભૂકંપમાં મને કંઈક થશે તો દુનિયામાં હું એક સામાન્ય કીડી-મંકોડાની જેમ જ નાશ પામીશ. એના કરતાં ક્યારેક કોઈ સુધી મારું લખાણ પહોંચે તો કોઈ આ નામની વ્યક્તિ હતી એટલું તો નામ રહેશે ' અને ભૂકંપના એ મહાવિનાશક દ્રશ્ય જોઈ મેં મારા જીવનની પ્રથમ કવિતા લખી.
"થર-થર ધ્રૂજે જગ આખું,
સાથે ઝુમે નભ આખું.
.
ભૂકંપ રુપી વગાડ્યા તેં ખીલા,
હે પ્રભુ! તારી આ જ લીલા."
બસ પછી તો અવાર નવાર વિચારોને કાગળ ઉપર ઉતારતી ગઈ..મેં ઘણી કવિતા ઓ લખી પછી તો..
સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?
પહેલા તો મારા લખાણ ને મેં મારા પુરતું જ રાખ્યું, પછી શાળામાં અને કૉલેજમાં હું જાતે જ નાટકોની સ્ક્રીપ્ટ લખતી અને ભજવતી. પણ આ મારો શોખ ફરી પાછો બંધ ચોપડામાં જ રહ્યો..અને એક કડવું સત્ય એ છે કે, લોકોકવિઓની બહુ મજાક કરે એટલે મારા જેવા અમુક તો પોતાના કાવ્યો કોઈને વંચાવતા જ નથી.
આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?
આજનું સાહિત્ય ખૂબ જ વિશાળ થયુ છે. એક સમય હતો જ્યારે ગુજરાતી સાહિત્યમાં ખૂબ ઉચ્ચ કોટીના તારલાઓ ચમક્યા હતા, પણ મોબાઈલ, ટી.વી વગેરે એ સાહિત્ય રસિકોની સંખ્યા ઘટાડી દીધી હતી, પણ આજે ફરી પાછું આપણું સાહિત્ય ધબકતું જોઈ બહું આનંદ થાય છે.
આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથી, શું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?
આ ડીઝીટલ યુગે અને સોશિયલ મીડિયા એ મારા જેવા ઘણા સાહિત્ય રસિકોને ફરી જીવતાં કર્યા.. આ યુગ એ સાહિત્ય માટે એક આશીર્વાદ છે, હું મારી જ વાત કરું તો મારું બે પૂંઠા વચ્ચેનું લખાણ, ક્યારેક જો કોઈ ઉંદર કાતરી ન જાય તો લોકો સમક્ષ મારા ગયા પછી મળે અને મને લોકોની વાહ વાહ મળતી પણ એ મારા ગયા પછી .જેનો મારા માટે તો મતલબ જ ન હોત. પણ, આ સોશિયલ મીડિયા એ આ ખૂબ જ સારું કર્યું જેના લીધે આજે હું આ સ્થાને પહોંચી. શ્રી નીતાબેન કોટેચા જી એ સ્ટોરીમિરરનો સંપર્ક કરાવ્યો. જેમનો આભાર.
આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)
આમ તો મેં શરૂઆત કાવ્ય થી કરી..૬૦-૭૦ કાવ્યો લખ્યાં..
૧..હું આવું.
૨..ટોળા ને તપાસીએ.
૩..તો પણ યાદ કરશો ને?.
૪..પ્રભુ.
૫..મને પસંદ છે.
૬..મળતું નથી..
૭..મૃતક ની વ્યથા.
૮.. રંગબેરંગી ફૂલ.
૯.. લાગણીઓ.
૧૦.. વરસાદ.
૧૧..હા ! હું છું પગની પાનીએ.
આ પ્રકાશિતકાવ્યો.
ઉપરાંત હાઈકુ, ગીત, નાટક અને વાર્તા ઓ લખી છે જેમાં...
૧...અધૂરી કહાની..
૨..સંઘર્ષ..
૩..અમર પ્રેમ..
૪..કાગળ ની નાવડી..
૫..ચંકી બેને ભૂલ સુધારી.
૬..ચાહત..
૭..જીવન બજાર.
૮.. પ્રેમ નો રંગ..
૯..રાત થોડી ને વેશ ઝાઝા.
૧૦..સ્ત્રી..
૧૧...બા ની બંગડી.
૧૨.. સાચી કુરબાની ભાગ-૧, ભાગ-૨...
પ્રકાશિત થઈ છે..
હાલસ્ટોરી મિરર, પ્રતિલિપિ, જેવા સાહિત્યિક માધ્યમો માં હાલ સક્રિય
આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.
પ્રથમ રચના વિશે તો આગળ જ મેં વાત કરી અને હજુ એ પ્રકાશિત નથી થઈ. પણ હા ! સ્ટોરીમિરરમાં જોડાયા પછીની મારી પ્રથમ રચના. "હું આવું છું " હતી જેમાં મને ટીમ અને મારા વાચકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો.
સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથી, સ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)
સાહિત્ય પ્રેમીને સાહિત્ય સન્માન મળે એટલે જગ જીત્યા નો આનંદ. આમ તો હું શાળામાં-કૉલેજમાં પાદપૂર્તિમાં પ્રથમક્રમાંક અનેકવાર મેળવી તાલુકા અને જીલ્લા, રાજ્ય કક્ષા એ પહોંચી હતી. પણ મને પ્રથમ પુરસ્કાર પણ આ સોશિયલ મીડિયા દ્વારા જ પ્રાપ્ત થયો..
૨૦૧૨ માં ફેસબુક દ્વારા "ગુજરાતી ગુલાલ" નામે એક પેજમાં હું જોડાઈ એમાં એક સ્પર્ધા યોજવામાં આવી હતી, જે પ્રેમ ના મહિના માં હતી એટલે કે ફેબ્રુઆરીમાં હોવાથી એનો વિષય હતો, 'પ્રેમ એટલે શું ?' ફક્ત એના પર્યાય શબ્દો જ લખવાના હતા. ઘણા લોકો એ ભાગ લીધો હતો. એમાં મેં ૩૨૨ શબ્દો લખ્યા જેમાંથી ૩૧૭ શબ્દો માન્ય ગણી હું એ સ્પર્ધાની વિજેતા બની હતી. જેનો એવોર્ડ અને સર્ટીફીકેટ આપવા ટીમના લીડર એવા 'શ્રી બિપિનભાઈ પારેખ અને બીનાબેન પારેખ' દંપતી મારે ત્યાં જાતે પધાર્યા હતા.
ત્યાર બાદ એકવાર કલર્સ ગુજરાતી પર આવતા "ડેઈલી બોનસ" નામના ગેમ શૉ માં મારુ કાવ્ય પઠન.'હા, હું છું પગની પાની એ' કાવ્યના લીધે ઘણી એવી ખ્યાતિ મળી અને લોકોમાં મારા વિચારો અને લખાણના વખાણ થયા જે એક એવોર્ડ જ હતો.
આ સોસિયલ મીડીયાએ મને ઘણું બધું આપ્યું. ત્યાર પછી હું "તોફાની તાંડવ"માં જોડાઈ , જેના અનેક મુશાયરામાં હું ગઈ, જ્યાં શ્રી પરેશભાઇ શાહ, શ્રી જીગરભાઈ ઠક્કર અને સાકેત ભાઈ જેવા મહાનુભાવો સાથે ઘણું શીખવા મળ્યું અને ભેટ પણ.
અને હાલ હું સ્ટોરી મિરરમાં જોડાઈ છું જ્યાં કાવ્યો અને વાર્તાઓ મુકું છુ. એમાંબાળવાર્તા સ્પર્ધામાં પણ હુંવિજેતા બની. સ્ટોરી ઘણા લેખકોમાંથી ૫૦ લેખકો ૨૦૧૮ના શ્રેષ્ઠ લેખકમાં નોમીનેટ થયા જેમાં હું પણ હતી. વાચકો , મિત્રો અને સબંધીઓના વૉટ અને શુભેચ્છાઓથી હું આ "AUTHOR OF THE YEAR"નો ખિતાબ જીતી. એ માટે આભાર સહુનો.
નવોદિત લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો ?
નવોદિત લેખકોને મારો એક સંદેશ એ છે કે, આપની પાસે તો આજે સરસ સોશિયલ મીડિયા રુપી પગથિયાં છે, જે આપ થોડો પણ રસ ધરાવતા હો તો આ પગથિયાં પર મંડાણ કરો. સફળતા આપની રાહ જુએ છે.
સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?
સ્ટોરી મિરર પર લખવું એ મારુ સૌભાગ્ય કહેવાય. અંહી મારા લખાણને યોગ્ય રુપ મળ્યું. મારા આત્મવિશ્વાસને વધુ મજબૂતી આ પેજ દ્વારા જ મળી.
સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?
સ્ટોરી મિરરે મને ઘણું આપ્યું અને આપતું રહે એ જ આશા.
તો મિત્રો આ હતી એક મુલાકાત લેખક અને કવિ શ્રી શ્રી મિત્તલ પુરોહિત સાથેસાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.