આવો આજે મુલાકાત કરીએ, અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખિકા કુસુમ કુંડારિયા સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ :
આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)
મારું પુરૂ નામ કુસુમબેન કાંતીભાઈ કુંડારિયા છે. હું પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું અને હાલ જૂનાગઢ રહું છું.
આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)
મેં પ્રાથમિક શિક્ષણ રાજકોટ જિલ્લાના મોટી પાનેલી ગામમાં લીધું છે.જે મારું જન્મ સ્થળ પણ છે. દસ ધોરણ પછી જામનગર મહિલા પી.ટી.સી. કૌલેજમાં પી.ટી.સી. પૂર્ણ કર્યું. અને ત્યારબાદ જામજોધપુર કોલેજમાં એફ.વાય. બીએ. સુધીનો અભ્યાસ કર્યો.
આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું ? આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?
સાહિત્ય સાથેનું મારું જોડાણ પંદર વર્ષની ઉંમરથીજ થયું. મોટાભાઈ બહુ ભણેલા નહિ પણ પુસ્તકો વાંચવાનો એમને શોખ. આથી ઘરમાં ઘણાં પુસ્તકો આવતા. મને પણ પુસ્તકો વાંચવા ખૂબ ગમતા. થોડું લખવાનો પણ પ્રયત્ન કરતી અને મિત્ર વર્તુળમાં વંચાવતી અને પ્રોત્સાહન મળતું રહેતું. મને વધારે પ્રોત્સાહિત કરનાર પ્રાગજી બાપા છે. એ તંત્રી હતા. અને મારા લેખોનો હંમેશા આગ્રહ રાખતા. અને પત્રો લખીને પ્રેરણા આપતા રહેતા. આજે તે હૈયાત નથી. પણ હું એમની જુવનભરની ઋણી રહીશ.
સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?
ના, એવી કોઈ મુશ્કેલીઓ પડી નથી.
આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?
આજે પણ ખૂબ સારું સાહિત્ય લખાય છે. યુવા પેઢી પણ ઘણૂં સરસ લખે છે. ખાસ કરીને આજે છંદબધ્ધ ગઝલ ખૂબ લખાય છે.
આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથી, શું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?
હા, ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથી નાના સાહિત્યકારોને પણ પોતાની કતિ લોકો સુધી પહોંચાડવાનો અવસર મળે છે.
આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)
'સદેશ' દૈનિકમાં એક સામાજીક નવલિકા તેમજ એક લઘુકથા પ્રકાશિત થયેલી છે. આ ઉપરાંત શાળામાં આવતા સામયિકો 'જીવન શિક્ષણ' અને 'બાલ સૃૃૃૃષ્ટી' માં પણ વાર્તા અને શૈક્ષણિક લેખ આવે છે. તેમજ જ્ઞાતિના સામયિકો 'ઉમિયા પરિવાર' ઉમિયા દર્શન અને સંસ્કતિ દર્શનમાં મારાં ઘણાં બધાં સામાજીક લેખો, વાર્તા અછાંદસ કવિતા અને ગઝલ પ્રકાશિત થયેલાં છે.
આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.
મારી પ્રથમ રચના એક સામાજીક વાર્તા 'આઘિત' છે. જે દહેજ પ્રથા ઉપર લખાયેલી છે. અને ૧૯૯૪ માં પ્રકાશિત થયેલી.
સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથી, સ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)
સાહિત્ય સન્માનમાં નાના નાના ઈનામો મળતા રહે છે. પણ વાંચકોના પત્રો અને ફોન પર પાઠવેલા અભિનંદન મારા માટે ઈનામથી પણ વિશેષ છે. સ્ટોરી મિરર તરફથી થોડા સમય પહેલાં મારી વાર્તા 'બેધર' ને ઓથર ઓફ ઘ વીકનું બિરુદ મળેલું જેનો ખૂબ આનંદ છે.
નવોદિત લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો ?
લખવા માટે સતત સારા પુસ્તકોનું વાંચન ખૂબ જરૂરી છે.
સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?
સ્ટોરીમિરર નવોદિત લેખકોને ખૂબ સરસપ્લેટફોર્મ પુરું પાડે છે. અને અલગ-અલગ સ્પર્ધા યોજુને લેખકોને નવું સાહિત્ય લખવા પ્રેરે છે.
સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?
સ્ટોરીમિરર ખૂબજ સુંદર કાર્ય કરી રહ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન.
તો મિત્રો આ હતી એક મુલાકાત લેખક શ્રી કુસુમ કુંડારિયા સાથે સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.