આવો આજે મુલાકાત કરીએ, અમારા સ્ટોરીમિરરના સન્માનિત યુવા લેખિકા શ્રી દર્શિતા જાની સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ :
આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)
હું દર્શિતા જાની, મૂળ જામનગરથી છું અને દર્શિતા નામથી જ લખું છું
આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)
મારૂ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પાર્વતીદેવી સ્કુલ જામનગરથી થયું, પછી ૧૧ ૧૨ સાઈન્સ મેં શ્રી સત્ય સાઈ વિદ્યાલયથી થયું, પછી બી.સી.એ નું પહેલું વર્ષ મેં એચ. જે. દોશી કોલેજથી કર્યું અને બાકીના વર્ષો આત્મીય કોલેજ રાજકોટથી કર્યું.
આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું ? આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?
બહુ નાનપણથી જ મને વાંચવાનો શોખ હતો તેમાંથી જ સાહિત્ય પ્રત્યે મને પ્રેમ જાગ્યો અને એક બદામી આંખો જોઇને પહેલી ગઝલ ક્યારે લખાઈ ગઈ એ મને જ ખબર ના પડી. સાચું કહું તો બહુ અનાયાસ જ હું સાહિત્ય સાથે જોડાઈ ગઈ
સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?
ખરેખર તો કોઈ વધુ મુશ્કેલી આવી નથી મને. ના બોલાયેલા શબ્દો કાગળ પર વિખેરાતા ગયા અને હું લોકોના હ્રદય પર એમજ છવાતી ગઈ. સ્વીકારાતી ગઈ. રોજ કંઇક નવું લખવાની પ્રેરણા પામતી ગઈ
આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?
આજનું સાહિત્ય પણ આજની દુનિયાની જેમ ફાસ્ટ થઇ ગયું છે. સ્ટેટસ અપડેટના ટ્રેન્ડમાં ટુ લાઈનર્સ અને ફોર લાઈનર્સ ખુબ ઝડપથી આગળ વધી રહ્યા છે. બહુ ઓછો સમય લેતી ઝડપથી મગજમાં ઉતરી જાય એવી રચનાઓ સાહિત્યનો ભાગ બની રહી છે જે પ્રશંસનીય છે.
આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથી, શું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?
ચોક્કસ, આજે જે લેખકો પોતાને પ્રકાશિત નથી કરી શકતા તે લોકો બહુ સહેલાઇથી પોતાનો વાંચકવર્ગ ડીજીટલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી મેળવી શકે છે. સરળ શબ્દોમાં કહું તો પ્લેટફોર્મ શોધવા માટે કે લોકોની નજરમાં આવવા માટે નવોદિતોને બહુ મહેનત નથી કરવી પડતી. ફક્ત સારું લખાણ જ તેમને કીર્તિ અપાવવા માટે પુરતું હોય છે.
આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)
આમ તો ૨૦૦૭ થી એ બદામી આંખોથી ઘાયલ થઈને નાનું મોટું લખતી આવી છું. ૨૦૦ ઉપર અછાંદસ ગઝલો અને કાવ્યો કાવ્યાર્ધ નામથી પ્રખ્યાત છે. ૩૦થી વધુ નાનીમોટી વાર્તાઓ, લઘુનવલ, પત્રો, લેખો મેં લખ્યા છે. ‘કસુર’, ‘તરસ એ આંખોની’, ‘અદ્વૈત’ અને ‘મારી આદત’ આ ચાર કૃતિઓ ખરેખર લોકોના હ્રદય પર રાજ કરે છે એમ કહી શકાય. તે ઉપરાંત ‘પ્રતિક્ષા’ નામની મારી ધારાવાહિક નવલકથા પ્રસારિત થઇ રહી છે.
આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.
કહેવાયું છે કે તૂટેલા દિલથી જ શ્રેષ્ઠ વાર્તાઓ નીકળતી હોય છે એમ એ તૂટેલા દિલના હજારો ટુકડા કાગળ પર વિખેરાઈને અદ્વૈતના સ્વરૂપે બહાર આવ્યા અને ૨૭ જુલાઈ ૨૦૧૭ એ મારી પહેલી નવલિકા‘અદ્વૈત’ પ્રસારિત થઇ. પ્રેમનો એક અલગ જ દ્રષ્ટિકોણ બતાવવાની મારી એ પહેલી કોશિશ હતી જે વાંચકોએ ખુબ સુંદર રીતે આવકારી. જાસ્મીન અને અદ્વૈતને ફક્ત વાંચકોની લાઈબ્રેરીમાં જ નહિ પણ હ્રદયમાં જગ્યા મળી.
સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથી, સ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)
અલગ અલગ ઈ પ્લેટફોર્મમાં યોજાતી સ્પર્ધાઓમાં હું ૪ – ૫ વખત વિજેતા રહી છું. તે સિવાય ‘મમતા સ્પર્ધા’ના પહેલા રાઉન્ડમાં હું ઉત્તીર્ણ થઇ છું અને સ્ટોરી મિરર દ્વારા ‘ઓથર ઓફ ધ યર’માં નોમીનેટ પણ થઇ છું.
નવોદિત લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો ?
નવોદિત લેખકોને એટલું જ કહીશ કે મગજને વધુ કષ્ટ આપ્યા વિના જે તમારું દિલ કહે તે લખતા રહો. તમને વખોડવા વાળા દુનિયામાં ઘણા હશે પણ તેને બિલકુલ ગણકાર્યા વિના તમારા સાહિત્ય માટેના પ્રેમને ખાતર લખતા રહો. નવું શીખતા રહો અને દુનિયાને શીખવતા રહો
સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?
સ્ટોરીમિરર એ ખુબ સુંદર અને સરળ પ્લેટફોર્મ છે. મારી રચનાઓ પ્રસારિત કરવા મને ક્યારેય પણ તકલીફો નથી પડી. તે ઉપરાંત મને વાંચવાનો બહુ જ શોખ છે તો હંમેશા કંઇક મને વધુ યોગ્ય મળ્યું છે આ પ્લેટફોર્મ પરથી વાંચવા માટે એટલે સ્ટોરી મિરર તો મારે મોબાઈલમાં જોઈએ જ
સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?
બસ જેમ મને આ પ્લેટફોર્મ મારફતે એક નવો આવકાર મળ્યો છે એમ વધુ ને વધુ લેખકોને મળતો રહે, આમજ તમે નવી નવી પ્રતિયોગીતાથી લેખકોનો ઉત્સાહ વધારતા રહો. સાહિત્ય પ્રત્યે ફરજ બજાવતા રહો.
તો મિત્રો આ હતી એક મુલાકાત યુવા લેખિકા શ્રી દર્શિતા જાની સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.